વાસાંસિ જીર્ણાનિઃ પુસ્તક અવલોકન
તમે લેખક છો? તો
તમારે Devangi Bhattની
વાસાંસિ જીર્ણાનિ નામની નવલકથા વાંચવી જ જોઈએ. તમે વાચક કે ભાવક છો? તો ખાસ વાંચવી જોઈએ. તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી છો કે
માનવમનની અંધારી વાવનો અભ્યાસ કરવામાં તમને રસ છે? તો
આ નવલકથા વાંચ્યા વિના તમારો છૂટકો જ નથી. તમને જીવનની અરાજકતા નામની કાળુ માછલીની
છીપમાં સર્જાતાં પર્લ્સ ઑફ વિઝડમમાં રસ છે? તો
આ વાચન તમને બહુ ઉપયોગી થશે.
ઉપરોક્ત ફકરો પ્રમોશન જેવો લખાઈ ગયો. બટ બિલીવ મી, એ પ્રમોશન નહીં, ભાવાવેશ
છે; વાસાંસિ જીર્ણાનિ વાંચ્યા પછી ચિત્તના પાર્ટિકલ
ઍક્સેલરેટરમાં થયેલી ભાવોર્મિઓ અને વિચારતરંગોની અથડામણ છે. આ અથડામણે ડહાપણ અને
ગાંડપણના સંયોજનનો એક એવો ભાવપિંડ સર્જ્યો છે, જે
આનંદરૂપે ચિત્તને આંદોલિત કરી રહ્યો છે. હોપ કે તમારા ચિત્તમાં પણ આ આંદોલન થાય.
એવું તે શું છે આ નવલકથામાં? આપણી
બૌદ્ધિકતા અને તર્કસંગતતાનું માન જાળવીને આ નવલકથા આપણને માનવમનના એવા ભંડકિયામાં
લઈ જાય છે, જેમાં ઈચ્છાઓનું સમાંતર બ્રહ્માંડ ધબકી રહ્યું છે. આ
ભંડકિયું છે પોલોમા નામની પચાસેક વર્ષની સામાન્ય બંગાળી સ્ત્રીનું. પોલોમાનો સંસાર
ખાસ કોઈ તડકીછાંયડી વિનાનો કે ઊથલપાથલ વિનાનો છે. સુખી અને સ્થિર.
પોલોમાના કોલકાત્તાના ઘરના ભંડકિયામાં જમીનમાં ધાન ભરવાની
કોઠીઓ દાટેલી છે. એક દિવસ એ કોઠીઓ વેચવાનો પ્રસ્તાવ મુકાય છે એટલે પોલોમાને એ
જમાનાજૂની અવાવરુ કોઠીઓમાં ડોકિયું કરવાની ઈચ્છા થાય છે. પોલોમા એ કોઠીમાં ઊતરે
છે. કહો કે એના મનના કોઈ અજાણ ભોંયરામાં ઊતરે છે અને પહોંચી જાય છે કોઈ અગોચર
પ્રદેશમાં.
હવે પોલોમા ઓગળે છે અને અવતરે છે ઓરોરા. પ્રથમ અને બીજા
વિશ્વયુદ્ધ વચ્ચેના ગાળામાં જર્મનીમાં રહેતી આ સ્ત્રી એના અભાવો બદલ હિટલરની જેમ
યહુદીઓને ધિક્કારે છે. ઓરોરાની નકારાત્મક લાગણી પછી પોલોમાની ભીતર પિંડ બંધાય છે
પ્રેમની પૅશનેટ લાગણીનો. હવે અવતરે છે રાજકુમારી રાબિયા. ઈજિપ્તના વૈભવી મહાલયોમાં
રહેતી અને નિષેધોમાં જીવેલી રાબિયા જીવનની વાસ્તવિકતાથી અનભિજ્ઞ છે, પણ પ્રેમ એને પોતાનું સત્ય ને પોતાની ઓળખ આપે છે. પોલોમાની
ત્રીજી ને છેલ્લી સફર છે કાઠિયાવાડની, જ્યાં
મોંઘી નામની અભણ સ્ત્રી મૃત્યુમાં મુક્તિનો અવસર જુએ છે.
આ ત્રણેય સ્ત્રીમાં પોલોમા ક્યાંય દેખાતી નથી, છતાં એ ત્રણેય પોલોમાના મનોજગતની જ નિવાસી છે. ત્રણેય
હકીકતમાં પોલોમાએ જીવવા ઈચ્છેલી, પણ
ન જીવી શકાયેલી જિંદગીનાં આભાસી સ્વરૂપો છે; પોલોમાની
અધૂરી રહેલી ઈચ્છાઓનું પર્સોનિફિકેશન છે. પોલોમા જ પોલોમા પાસે લટકા કરી રહી છે.
એની સ્થિતિ કદાચ નરસિંહ મહેતાના પદથી વર્ણવી શકાયઃ “જાગીને
જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં
અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ
લટકા કરે બ્રહ્મ પાસે…” પોલોમાને
પણ અટપટા ભોગ ભાસે છે, પણ
એ માયા એણે પોતે નથી રચી. એ તો એના અચેતન મનમાં ધરબાયેલી ઝંખનાઓએ રચી છે.
આમ, ત્રણ
જુદા જુદા કાલખંડમાં અવતરતી ઓરોરા, રાબિયા
અને મોંઘીના મિષે અહીં પોલોમાની કથા કહેવાઈ છે અને અદ્ભુત રીતે કહેવાઈ છે. સંકુલ
મનોભાવો, પાત્રો અને લેખિકા દ્વારા પમાતાં સત્યો, નિરીક્ષણો, વર્ણનો, સંવાદો, કથનની
રીત અને કલાનું વાસ્તવ અચંબિત થઈ જવાય એ રીતે શબ્દોમાં મુકાયાં છે. એ શબ્દોની
સરળતા અને સહજતા એટલી છેતરામણી છે કે એમના અવતરણમાં અનુભૂતિઓ અને વિચારોનું
કેટલુંક વલોણું થયું હશે એનો અંદાજ પહેલી નજરે આવી નથી શકતો.
હવે કથાકથનની એકાદ-બે ખામીની વાત. પોલોમા વાસ્તવ અને ભ્રમણા
વચ્ચે ઝૂલતી થઈ ગઈ એની પાછળનાં કારણો કે પરિસ્થિતિનું નિરૂપણ નવલકથામાં ખાસ થયું
નથી. હા, વાચકોને માહિતી અપાતી હોય એમ ત્રણ વાત કહી દેવાય છેઃ એક, પોલોમાનું જીવન સ્થિર, સુખી
તથા લગભગ ઘટનાહીન હતું. બીજું, એનામાં
જીવનરસ હતો. ત્રીજું, એને
લાગતું હતું કે જીવન આટલું સીધી લીટીમાં ન ચાલવું જોઈએ, એમાં
વળાંકો હોવા જોઈએ. આટલી માહિતી પરથી અને ઓરોરા, રાબિયા
તથા મોંઘીનાં પાત્રો પરથી વાચકોએ ધારી લેવાનું રહે છે કે પોલોમાના મનના ઊંડાણમાં
ક્યાંક વેર, પ્રેમ અને મુક્તિની ઈચ્છાઓ દટાયેલી હશે.
ખરેખર તો પ્રારંભિક પ્રકરણમાં જો પોલોમાના શાંત જીવનનું
નિરૂપણ કરતી વખતે એના વ્યક્તિત્વમાં કોઈક રીતે ઓરોરા, રાબિયા
અને મોંઘીની આછેરી ઝલક દેખાડાઈ હોત તો વાત ઓર સંગીન બની શકત. અત્યારે એવું લાગે છે
કે પચાસ વર્ષની ઉંમરે અચાનક પોલોમાનાં મનોસંચલનો ટ્રિગર થયાં. રાતોરાત આવું બનવું
શક્ય નથી, કેમ કે એ તો પોલોમાના જીવનમાં સતત ચાલેલી પ્રક્રિયા હોય.
બીજું કે ઓરોરા, રાબિયા અને મોંઘીની કોઈક વાતો-ક્રિયાઓમાં પણ પોલોમાની સાવ
આછેરી ઝલક દેખાઈ હોત તો કથાતંતુ સંધાયેલો રહેત. મનોવિજ્ઞાન આ બાબતે જે કહે તે, કલાનું વાસ્તવ જુદું હોય છે. હોવું જોઈએ.
આવા
નાનામોટા ખટકા છતાં આ નવલકથા પ્રભાવશાળી છે. એનો એક છેડો ક્લાસને અડે છે ને બીજો
માસને. છેલ્લાં થોડાં વર્ષોમાં ગુજરાતીમાં આવું બળકટ લખાણ મેં બહુ ઓછું વાંચ્યું
છે. જો કોઈ જાદુ થઈ શકતો હોત તો એના વડે આ નવલકથા હું મારા નામે કરાવી લેત.
બદલામાં મારું રાજપાટ (અફકોર્સ, જાદુથી
જ ઊભું કરેલું 😊) આપી
દેત.
No comments:
Post a Comment